રિધ્ધિ-સિધ્ધિ કે તુમ હો સ્વામી
દેવ નમામિ નમામિ નમામિ
સબ કે વિધ્ન હરો વિધ્નેશ
જય જય મંગલમૂર્તિ ગણેશ
ગણપતિ ઉત્સવમાં ગુજરાત ઘેલું બન્યું છે. ચારેય તરફ દુંદાળા દેવને પૂજવા શેરી અને ચોકમાં મંડપો સજી દેવામાં આવ્યા છે. કોઇપણ શહેર હોય, જાણે એવું લાગે કે સમગ્ર શહેર વિધ્નહર્તાની પૂજનમાં તલ્લીન છે ! દિવાળી-જન્માષ્ટ્રમી સમાન હવે ગણેશોત્સવનો માહોલ ગુજરાતમાં બની ગયો છે. એમ કહો કે, ગુજરાતીઓ હવે તહેવારોની ઉજવણીમાં મસ્ત બની ગયા છે. નવરાત્રી હોય કે શિવરાત્રી દરેક તહેવારને ગુજરાતીઓ શ્રદ્ધાપૂર્વક મનભરીને માણે છે. અગાઉ ગુજરાતમાં માત્રને માત્ર ચૈત્ર મહિનાની ચોથના દિવસે ગણેશનું પૂજન વિશેષ રીતે થતું હતું. આમ તો શ્રી ગણેશજીનું મહાત્મય ગુજરાતી સમાજે વર્ષોથી દરેક કાર્ય વખતે એવું વણી લીધું છે કે તેના વગર કોઇપણ કાર્યનો પ્રારભં જ કરી ન શકાય ! ચૈત્ર મહિનાની ચોથના દિવસે ઘરના એક ખૂણામાં શ્રી ગણેશજીનું સ્થાપન કરીને તેમને લાડુંનો પ્રસાદ જમાડવામાં આવતો, ઘરના પ્રવેશદ્રાર અને વ્યવસાયના પ્રવેશદ્રાર પર 'શ્રી ગણેશયા નમ:' એવું સીંદુરથી લખીને ગણેશજીની ભકિતનું આલેખન થતું, એ દિવસે સમગ્ર ઘરનું વાતાવરણ ગણેશમયી બની જતું, નાના-મોટા સહુના ઘરે ગણેશજીની નાની-નાની પ્રતિમાઓ જે કાયમી પૂજામાં હોય તેમનું સ્થાપન થતું, ગણેશજીને ધરાવાયેલા લાડુંને સાંજે ગૌધનને પ્રસાદ તરીકે અપાતા હતાં આ હતું ગુજરાતી ગણેશચોથનું મહાત્મય !
હવે ગુજરાતીઓ ચૈત્રસુદની ચોથને ભુલીને ભાદરવા સુદની ચોથને ઉજવવા લાગ્યા છે. જે અગાઉ ફકતને ફકત મહારાષ્ટ્રમાં ગણેશ ચર્તુથીની ઉજવણી થતી હતી તે ગણેશ ચતુર્થી હવે ગુજરાતમાં પ્રસરી ગઇ છે. પરિણામે લોકોને ગણેશજીની પૂજા કરવાનો એક વધુ અવસર સાંપડયો છે, પરંતુ સાથે-સાથે ગુજરાતીઓએ પોતાની આગવી ચૈત્રસુદ ચોથની ચર્તુથી પણ ન ભુલવી જોઇએ એ કહેવું અહીં અસ્થાને નહી ગણાય !
કહેવાય છે કે, મહારાષ્ટ્ર્રના મુંબઇમાં સાર્વજનિક ગણેશ ઉત્સવનો પ્રારભં કરાવનાર લોકમાન્ય તિલક હતાં. બાદમાં તો આ તહેવાર મુંબઇની સાથે-સાથે સમગ્ર મહારાષ્ટ્ર્માં અને હવે તો ગુજરાત સહિતના અનેક પ્રદેશોમાં પ્રસરી ચૂકયો છે. આમ પણ સમગ્ર ભારતમાં કોઇપણ કાર્યની શરૂઆતમાં વિધ્નહર્તાનું પૂજન પ્રથમ થાય છે, કારણ કે શિવજીએ પુત્ર ગણેશને એ પ્રકારના આર્શીવાદ આપ્યા છે. આથી નવું કાર્ય કરતા વિધ્નહર્તાનું પૂજન-અર્ચન કરવાથી આ કાર્યમાં વિધ્ન ન આવે અને તે સિદ્ધ થઇ પૂર્ણ થઇ શકે. શ્રી ગણેશજીના મહાત્મય માટે એક આખું ગણેશ પૂરાણ લખાયેલું છે જેમાં શ્રી ગણેશજીના બહાદુરી, ભોળપણ, ચતુરાઇ, મહાનતા, ગુસ્સો, ઉદારતા વગેરેની કથાનું આલેખન કરાયું છે.
ચતુર્થી લઇને પૂનમ સુધી હવે ગુજરાત ગણેશમયી રહેશે. સવાર અને સાંજના સમયે શેરી તથા મહોલ્લામાં દુંદાળા દેવની આરતી થતી રહેશે. છેલ્લે પૂનમના દિવસે શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન શ્રધ્ધાળુઓ દ્રારા હોશેં-હોંશે કરાશે. અગીયાર દિવસ સુધી ભકિતનો માહોલ ફરી છવાયેલો રહેશે. શ્રાવણ મહિનામાં પિતા શિવજીની પૂજન-અર્ચન કર્યા બાદ હવે પુત્ર ગણેશજીની ભકિત કરવાનો અવસર ગુજરાતીઓને મળ્યો છે, ત્યાર બાદ આ જ ગુજજુઓ માતાજીની આરાધના કરવા નવરાત્રી ઉજવશે.
અગાઉ ગુજરાતના કોઇપણ શહેર લો ફકત એકાદ વિસ્તારમાં ગણેશ મહોત્સવ યોજાતો અને એ પણ જે તે મરાઠી મંડળો દ્રારા. એ વખતે આ મરાઠી મંડળો ગણેશજીની પ્રતિમાઓ છેક મુંબઇથી મંગાવતા અથવા તો રાજસ્થાની કારીગરને અગાઉથી ઓર્ડર આપીને પ્રતિમાઓ લાવતા. મૂર્તિઓનું એ જમાનામાં ગુજરાતમાં વેંચાણ કરવું એ સ્વપ્ને'ય વિચારી શકાય એમ ન હતું, કારણ કે જયાં ગુજરાતી ચોથનું મહત્વ હોય તો વળી અન્ય ચોથ ગુજરાતીઓ કઇ રીતે ઉજવી શકે ? જો કે ધીમે-ધીમે મિડીયાના રોલે આમાં પણ ભાગ ભજવ્યો. મુંબઇમાં ગણેશ મહોત્સવના કાર્યક્રમને ન્યૂઝ ચેનલો અને ધાર્મિક ચેનલોમાં જોરશોરથી પ્રચાર થતો.
એમા'ય એક-બે ધાર્મિક ચેનલોમાં તો ગણેશ વિસર્જન વખતે તમામ કાર્યક્રમોનું 'લાઇવ ટેલીકાસ્ટ' કરાતું. ન્યૂઝ ચેનલોમાં કયાં મહોલ્લાના ગણેશજી વધુ આકર્ષક છે ? તેના અહેવાલો રિલીઝ કરાતાં. ખાસ કરીને મુંબઇના દાદર-પરેલ વિસ્તારના 'લાલબાગ ચા રાજા' ગણેશજીનું તો અહોભાગ્ય કે તે હંમેશા દરેક વખતે ન્યૂઝ વેલ્યુંમાં પ્રથમ હરોળમાં હોય છે. જેને કારણે તેના વિશેના સમાચારો સતત વહેતા રહે છે.