ઉત્તરાખંડમાં હવામાન વિભાગે પ્રદેશમાં 36 કલાકનું એલર્ટ જારી કર્યુ છે તો બીજી તરફ તોફાની વરસાદ અને પવનથી દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં તારાજી થઇ છે. દિલ્હીના મોતીયાખાન વિસ્તારમાં એક મકાનની છત તુટી પડતા બે વર્ષની એક બાળકીનુ મોત થયુ છે તો ઉત્તરાખંડના ટિહરી અને ઉત્તર કાશી વિસ્તારમાં વાદળો ફાટવાથી થઇ રહેલા વરસાદથી વધુ પાંચ લોકોના મોત થયા છે.
ઉત્તરાખંડમાં દહેરાદુન ઉપરાંત ગઢવાલ મંડલના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે સાથોસાથ આંધી અને કરા પણ મુસીબત વધારશે. આજે સવારે દહેરાદુન સહિત બદ્રીનાથ, રૂદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ અને ગોપેશ્વરમાં વાદળો છવાયા છે. રૂદ્રપ્રયાગમાં સવારે વરસાદ પડયો હતો ગઇકાલે પણ અનેક સ્થળોએ વરસાદ પડયો હતો. હવામાન ખાતાના વડા વિક્રમસિંહે જણાવ્યુ છે કે, આગામી 36 કલાક રાજય માટે ભારે છે. ચંપાવત, નૈનીતાલ, અલમોડા, દહેરાદુન, પોંડીગઢવાલ, ટિહરી ગઢવાલમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય બધા સ્થળે ભારે પવન અને કરા પડવાની શકયતા છે. આગામી 36 કલાક ચારધામ યાત્રિકો માટે પણ મહત્વના સાબીત થશે. કેદારનાથ, બદ્રીનાથ, હેમકુંડ સાહિબ, ગંગોત્રી અને યમુનોત્રીમાં ભારે વરસાદ સાથે કરા પડશે. મુસાફરોને એલર્ટ રહેવા જણાવાયુ છે.