Publish Date: Thu, 01 Dec 2016 (09:03 IST)
Updated Date: Thu, 01 Dec 2016 (09:09 IST)
આજે-પહેલી તારીખ છે. અનેક કર્મચારીઓ માટે આ પગારનો દિવસ છે. સવાર પડતાં જ લોકો પગાર ઉપાડવા બેન્કો અને એટીએમ બહાર કતારોમાં ગોઠવાઈ ગયા છે. જોકે સમસ્યા હજુપણ અડીખમ છે. બેન્કોના જણાવ્યા અનુસાર એટીએમમાં જરૂરિયાત કરતાં ફક્ત 20 ટકા જ રોકડ ઉપલબ્ધ છે. રોકડની અછત ચાલુ છે તો દેશમાં નોકરીયાત માણસ સમક્ષ તકલીફ એ છે કે પગાર ખાતામાંથી કઈ રીતે ઉપાડશે ? અને પગાર નહીં નીકળે તો ડીસેમ્બર મહિનો કઈ રીતે જશે ?
સરકારે રૂ. 500ની નવી નોટો છાપી છે અને ચલણમાં મૂકી છે, પરંતુ એની ઉપલબ્ધતા ઓછી છે. એવી જ રીતે, 100 રૂપિયાના મૂલ્યની નોટોની પણ તંગી છે. લોકોને નાછૂટકે 2000 રૂપિયાની નોટો સ્વીકારવી પડે છે. ઘણી બેન્કોને 500ની નવી નોટો હજી મળી નથી.
નાણામંત્રી જેટલીએ નોટબંધી બાદ એટીએમ મશીનો ઠીકઠાક કરવા માટે 2 થી3 સપ્તાહનો સમય માગ્યો હતો પરંતુ 22 દિવસ વિતી ગયા છતા એટીએમ હજુ સંપૂર્ણ રીતે કાર્યરત નથી થયા. એકલદોકલ એટીએમ કામ કરે છે, જ્યાં લાઈનો લાગેલી હોય છે.