Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૂંટણી કમિશ્નરને હટાવવા ભલામણ

મુખ્ય ચૂંટણી કમિશ્નરે રાષ્ટ્રપતિને ચીઠ્ઠી લખી

ચૂંટણી કમિશ્નરને હટાવવા ભલામણ

વેબ દુનિયા

, શનિવાર, 31 જાન્યુઆરી 2009 (20:54 IST)
W.D

બંધારણીય કટોકટી ઊભી થાય તેવા એક ઘટનાક્રમમાં મુખ્ય ચૂંટણી કમિશનર એન.ગોપાલસ્વામીએ ચૂંટણી કમિશનર નવીન ચાવલાને દૂર કરવાની માંગણી કરીને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સમક્ષ એક વિધિવત વિનંતી મોકલી છે. પક્ષપાતી રીતે કામ કરવાનો ચાવલા ઊપર આક્ષેપ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ ગોપાલસ્વામીના પત્રને પગલાં લેવા માટે વડાપ્રધાનને મોકલી દીધો છે.

વધુ વિગત આપવાનો ઇન્કાર કરી ગોપાલસ્વામીએ કહ્યું છે કે મેં મારી કામગીરી પૂરી કરી લીધી છે. અહેવાલ આપી દેવામાં આવ્યો છે. આ એક વિશેષાધિકાર દસ્તાવેજ છે. હું કોઇપણ પ્રશ્નો હાથ ધરીશ નહીં. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે અહેવાલ રાષ્ટ્રપતિને મોકલી દેવામાં આવ્યો છે. આ પત્રમાં શું છે તે અંગેની વિગત હું આપવા માંગતો નથી. આ પ્રશ્ને પત્રકારોએ શ્રેણીબદ્ધ પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ સીઇસીએ કોઇપણ જવાબ આપ્યા ન હતા.

જાણવા મળ્યા મુજબ રાષ્ટ્રપતિએ આ ભલામણ વડાપ્રધાનને મોકલી આપી છે. જેને પગલે ચાવલાની સામે પગલાં પણ લઇ શકાય છે. ગોપાલસ્વામી 20મી એપ્રિલના દિવસે હોદ્દો છોડનાર છે. ગોપાલસ્વામીની નિવાૃત્તિના ત્રણ મહિના પહેલા આ ભલામણ કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનરની આ ભલામણથી ત્રણ સભ્યોના ચૂંટણી પંચની અંદર મતભેદો સ્પષ્ટપણે સપાટી ઊપર આવી ગયા છે. સામાન્ય ચૂંટણી પહેલા ત્રણ સભ્યો વચ્ચે મતભેદથી સ્થિતિ વણસી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવા આડે અડચણો પણ ઊભી થઇ શકે છે.

ગયા વર્ષે ચાવલાએ મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજવા સામે પ્રશ્નો ઊઠાવ્યા હતા પરંતુ તેમની બાબત તરફ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઊપરાંત તેઓએ 2007માં ઊત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવા સામે પણ પ્રશ્નો ઊઠાવ્યા હતા.
ચાવલા પ્રથમ વખત જ વિવાદના ઘેરામાં આવ્યા નથી.

વર્ષ ૨૦૦6માં પણ ભાજપે તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સમક્ષ અરજી કરીને બંધારણની કલમ 324 સેકશન (5) હેઠળ ઇલેકશન કમિશનર તરીકે ચાવલાને દૂર કરવા માંગણી કરી હતી.

આ અરજી વડાપ્રધાનને મોકલવામાં આવી હતી પરંતુ કોઇ નિર્ણય થયો ન હતો. ભાજપે ત્યારબાદ મામલો સુપ્રિમ કોર્ટમાં લઇ જઇને વિવાદને વધુ વેગ આપ્યો હતો પરંતુ ઓગસ્ટ 2007માં અરજી પાછી ખચી લીધી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, મુખ્ય ચૂંટણી કમિશ્નરે ઉઠાવાયેલ આ સવાલને લઇને અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે. દેશના ઇતિહાસમાં આ પ્રથમ મામલો બહરા આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati