અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રતિ પાકિસ્તાન કે ચીનના બેવડા વલણને પસંદ કરતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પની કોર ટીમના એક સભ્યે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ભારતના કોઈ પણ પાડોશી દેશના બેવડા માપદંડોને બર્દાશસ્ત કરશે નહીં. રિપબ્લિકન હિન્દુ કોલિશન(RHC)ના સંસ્થાપક અને અધ્યક્ષ તથા ટ્રમ્પના વિશ્વસનીય સહયોગી શલભકુમારે એ પણ જણાવ્યું કે ટ્રમ્પ ભારત-પાકની દોસ્તીનું પણ સમર્થન કરશે.
શલભકુમારે કહ્યું કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નીતિ સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ ભારતના કોઈ પણ પાડોશી દેશના બેવડા વલણને બર્દાશ્ત કરશે નહીં. અત્રે જણાવવાનું કે એક બાજુ પાકિસ્તાન અને ચીન આતંકી સંગઠનોનું સમર્થન કરે ચે અને બીજી બાજુ ભારત સાથે મિત્રતાની વાત કરે છે. ભારતમાં તો જે આતંકવાદ ફેલાયો છે તે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકી સંગઠનોના પ્રતાપે જ છે. પરંતુ પાકિસ્તાન તેના ઉપર કોઈ કાર્યવાહી કરતું નથી. હવે આશા છે કે ટ્રમ્પ આ મામલે પાકિસ્તાન સાથે કડક વલણ અપનાવશે.
તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ટ્રમ્પ પાકિસ્તાન સાથે એકદમ સપાટ સંબંધો રાખશે. આતંકવાદ ભારત માટે એક મોટી ચિંતા છે એ બાબત તેઓ સારી પેઠે જાણે છે અને તેઓ પાકિસ્તાનને એ વાત સમજાવી શકે છે કે તે યોગ્ય દિશામાં આગળ વધીને ભારત સાથે મિત્રતા કરે.