Publish Date: Sat, 31 Oct 2015 (13:12 IST)
Updated Date: Tue, 17 Nov 2015 (13:57 IST)
પાટીદાર આંદોલનની તીવ્ર અસર તળે કદાચ છેલ્લા અઢી દાયકામાં પ્રથમવાર સત્તાધારી પક્ષ ભાજપ માટે પડકારજનક સ્થિતિ ઊભી થવાની શક્યતા આકાર પામી રહી છે. તેનું પરિણામ એ આવ્યું છે કે, સંપૂર્ણ સ્વાયત્ત ગણાતા રાજ્ય ચૂંટણી પંચે મતદારોના અધિકારોનું જતન કરીને મુ્કત અને ન્યાયી ચૂંટણીઓ કરાવવાની પોતાની મૂળ જવાબદારી નિભાવવાને બદલે સરકારની તરફેણ કરવામાં સમગ્ર ચૂંટણીઓને જ કોર્ટના કઠેડે ઊભી કરી દીધી હોવાની ચચર્િ થઈ રહી છે. જોકે, કોર્ટ દ્વારા મતદારોના અધિકારોનું સંપૂર્ણ રક્ષણ કરાયું છે અને રાજ્ય ચૂંટણી પંચની ઝાટકણી કાઢીને તેની સ્વાયત્તાની યાદ અપાવી છે. રાજ્ય ચૂંટણી પંચને ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટે તેની ફરજ યાદ દેવડાવી હોય તેવી, રાજ્યના ઈતિહાસમાં કદાચ પ્રથમ ઘટના બની હશે. પંચે મહાનગરપાલિકા-નગરપાલિકાની ચૂંટણી માટે નવું સીમાંકન કર્યું તો તે હાઈકોર્ટ બાદ સુપ્રીમમાં પડકારાયું છે. ગુજરાત સરકારની જીદને પગલે ફરજિયાત મતદાનને અમલમાં મૂકવાની વાત આવી તો હાઈકોર્ટને તેની સામે મનાઈ હુકમ આપવો પડ્યો, કોઈપણ સંસ્થામાં મુદ્દત પૂરી થાય તે પહેલાં ત્યાં ચૂંટાયેલી બોડીને શાસનમાં લાવી દેવાની જવાબદારી હોવા છતાં પંચે ચૂંટણી માટેની તારીખો જાહેર કરવાને બદલે રાજ્ય સરકારના બે વટહુકમોને પગલે ચૂંટણીને ત્રણ મહિના સુધી રોકવાની જાહેરાત કરી. જેને કોર્ટમાં પડકારાતા અહીં પણ પંચ આડે હાથ લેવાયું હતું ત્યારબાદ પંચે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી તો તેમાં પણ સરકારની સ્પષ્ટ તરફેણ સાબિત થતી હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. કેમકે ભાજપ ઈચ્છતું હતું કે, પહેલાં મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થાય અને પંચ દ્વારા તે મુજબ જ કાર્યક્રમની જાહેરાત કરાઈ. એટલું જ નહીં પરંતુ મહાનગરપાલિકાના પરિણામો વહેલાં જાહેર કરવાની અને ત્યારબાદ પાલિકા-પંચાયતોની ચૂંટણીઓ યોજવાની જાહેરાત થઈ. તેનાથી સ્પષ્ટ થતું હતું કે, મહાનગરપાલિકાના ચૂંટણીના પરિણામોનો સ્પષ્ટ પ્રભાવ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ ઉપર પડ્યાં વિના રહેવાના નથી. આ બાબત પણ સુપ્રીમ કોર્ટ સુધી ગઈ અને ત્યાં પણ રાજ્ય ચૂંટણી પંચને મહાનગરપાલિકાની પરિણામો પાલિકા-પંચાયતની પરિણામોની સાથે જાહેર કરવાનો આદેશ અપાયો હતો