Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat day - ગુજરાતનો સ્વાતંત્ર્યસંગ્રામ અને ઉદ્દવિકાસ

Gujarat day - ગુજરાતનો સ્વાતંત્ર્યસંગ્રામ અને ઉદ્દવિકાસ
ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં 'પ્રજાસમાજ' નામની રાજકીય સંસ્થા સ્થપાઇ હતી.મુંબઇમાં 1885ના ડિસેમ્બરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં ગુજરાતીઓએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. આ કોંગ્રેસમાં ગુજરાતી આગેવાન દાદાભાઇ નવરોજી, ફિરોજશાહ મહેતા, દિનશા વાચ્છા, ડો. હરિ હર્ષદ ધ્રુવ, અંબાલાલ દેશાઇ વગેરે હતા. 1902માં અમદાવાદમાં કોંગ્રેસનું મહાઅધિવિશન ભરાયું તે ગુજરાત સભાને આભારી અને તેમાં જનતામાં રાષ્ટ્રીય જાગૃતિનો સંચાર જગાવ્યો.

1905ના સમયમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા વડોદરાની કોલજના અધ્યાપક અરવિંદ ઘોષ પાસેથી મળી.આ જ સમયે શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં 'ધી ઈડિયન સોશિયોલોજિસ્ટ' નામનું માસિક શરૂ કરીને તથા 'ધી ઇંડિયન હોમરૂલ સોસાયટી' સ્થાપીને દેશ માટે ક્રાંતિકારી પ્રવૃતિ કરવાની શરૂવાત કરી હતી. 1916 ઓક્ટોબરમાં થિયોસોફિસ્ટ મગનભાઇ પટેલે અમદાવાદમાં એની બેસંટની હોમરૂલ લીંગની શાખા સ્થાપી હતી. ગુજરાતમાં હોમરૂલનો પ્રચાર કરવા મુંબઇથી 'બોમ્બે ક્રોનિકલ'ના તંત્રી બી.જી. હોમીભાભા, ક્નૈયાલાલ મુનશી, જમનાદાસ દ્વ્રારકાદાસ વગેરે નેતાઓ જોડાયા હતાં.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915માં ભારત આવ્યા અને 1915ના મેના 25 તારીખે અમદાવાદમાં કોચરબમાં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી. આ દરમિયાન જ પ્રથમ વિશ્ર્વ યુદ્ધ ચાલતું હતું. જેના કારણે મિલ માલિકો અને મજૂરો વચ્ચે ઝઘડાઓ ઊભા થતા તેના નિવારણ માટે ગાંધીજીએ પંચની રચના કરી અને અંતે 1920માં મજૂર મહાજનની સ્થાપના કરી હતી. 18મી ઓકટોબર, 1920ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિધાપીઠની સ્થાપના પણ ગાંધીજીએ જ કરી.

- આમ ફકત એક વર્ષમાં એટલેકે 1921માં ગાંધીજીએ 'સ્વરાજ'નો નાદ દેશભરમાં ફેલાવ્યો.
- ડિસેમ્બર 1921માં અમદાવાદમાં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ વલ્લભભાઇ પટેલ હતાં.
- 13મી એપ્રિલ, 1923ના રોજ નાગપુરમાં સિવિલ લાઇંસમાં ધ્વજ સહિતના સરઘસને પ્રવેશવા ન દેતાં, શરૂ થયેલા ઝંડા સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઇએજ કરી હતી.

8મી ઓગસ્ટ, 1942ના રોજ મુંબઇમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 'હિંદ છોડો'નો ઠરાવ કરવામાં આવ્યો. 9મી ઓગસ્ટની સવારે દેશભરનાં નેતાઓ સહિત અમદાવાદમાં માવળંકર, ભોગીલાલ, અર્જુન લાલા સહિત 17, સૂરતમાં ચંપકલાલ, છોટુલાલ મારફતિયા સહિત 40, વડોદરામાં છોટુલાલ સુતરિયા, પ્રાણલાલ મુનશી સહિત 21 અને પંચમહાલ, ભરૂચ, ખેડા, સોરાષ્ટ્રનાં મોટા ભાગના તમામ નેતાઓની ધરપકડ કરવામાં આવી તેમજ તાલુકા કોંગેસ સમિતિઓને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી.

2જું વિશ્ર્વયુદ્ધ પુરૂ થયા બાદ કેબિનેટ મિશન યોજના મુજબ 1946માં વચગાળાની સરકાર રચવામાં આવી. લોર્ડ માઉંટબેટન ગવર્નર-જ્નરલ તરીકે આવ્યા, બાદમાં 3 જૂન, 1947ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું. 15મી ઓગષ્ટ, 1947ના રોજ ભારત આઝાદ થયું. તેની સાથે મોહમ્મદ અલી જીણાના કારણે પાકિસ્તાનનો ઉદ્દભવ થયો, આમ બે સ્વતંત્ર રાજયોનો ઉદ્દભવ થયો.

1 નવેમ્બર, 1956ના રોજ દ્વિભાષી મુંબઇ રાજયની રચનાં થતાં ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડયું અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની આગવાની નીચે આ લડત શરૂ થઇ. 8મી ઓગષ્ટ, 1956ના રોજ અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ સામે દેખાવકારો પર પોલીસે ગોળીબાર કર્યા. તેમાં ચાર યુવાનો માર્યા ગયા અને 100 જેટલા ઘાયલ થયા. થોડા દિવસોમાં આ ચળવળ આખા ગુજરાતમાં ફેલાઇ ગઇ.

ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ સપ્ટેમ્બર, 1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઇએ ઉપવાસ કર્યા. અમદાવાદમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની સભા સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભામાં લાખોની માનવમેદની ઊમટી પડી. છેવટે માર્ચ, 1960માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઇ રાજયના વિભાજનનો ખરડો પસાર કર્યો

1મી મે, 1960ના રોજથી સોરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના અલગ રાજયની રચના કરવામાં આવી. ગાંધીનગર તેનું પાટનગર(કેપિટલ) બન્યું. છેલ્લે બળવંતરાય મહેતા સમિતિની ભલામણો પ્રમાણે ગુજરાત રાજયે સત્તાના વિકેન્દ્રિકરણનો સિદ્વાંત સ્વીકાર્યો, જેથી જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયત કક્ષાએ સત્તાનું વિકેન્દ્રિકરણ થયું અને વિકાસમાં જિલ્લા પંચાયતોનો ફાળો મળવાનો શરૂ થયો. આજનાં સમયમાં મોદી સરકારમાં ગુજરાતનો સુવર્ણયુગ શરૂ થયો છે અને વિકાસમાં સૌથી આગળ રાજયોમાં ગુજરાતનું નામ સૌથી આગળ આવે છે. 26મી જાન્યુઆરી, 2001ના રોજ કચ્છ્માં આવેલા ભયંકર ભૂંકપ અને પછી 2002માં ગોધરાકાંડ તથા કોમી દંગા થયા તો પણ ગુજરાતે વિકાસમાં પીછે હટ નથી કરી. આમ, ગુજરાતનો વિકાસ એ દેશનો વિકાસ છે જે ભારતને એક મહાસત્તાના રૂપે 2020માં લઇ આવશે તેવી ખાતરી ભૂ.પૂ. રાષ્ટૃપતિ અબ્દુલ કલામ આઝાદે કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mann ki baat"મન કી બાત"માં પ્રધાનમંત્રી મોદી