"મારું ઘર- ભાજપનું ઘર"
મત આપ્યા બાદ તમારા ઘરનું છાપરું પણ રહેશે નહિ!
અમદાવાદ (વેબદુનિયા) ભાજપના પ્રદેશ કાર્યાલયની સામે ભાજપે તૈયાર કરાયેલાં બે રથ બપોરથી પડ્યા હતા. આ રથમાં ઝૂપડી બનાવી છે, જેના માથે છાપરું નહીં, પણ નાળિયેરીના પાનથી ઝૂંપડું ઢાંક્યું છે. તેમાં નાટકના પાંચ કલાકારો ગુજરાતમાં ફરવાના છે. આ રથને જોવા માટે અહીંથી પસાર થતાં રાહદારીઓ અને કાર્યાલય પર આવતાં કાર્યકરો થંભી જતાં હતાં.
ઝૂંપડી ઉપર મોટું બોર્ડ મૂકવામાં આવ્યું છે કે, "મારું ઘર, ભાજપનું ઘર" અને તે વાંચીને એક રાહદારીએ કોમેંટ કરી હતી કે "મારું ઘર- ભાજપનું ઘર, તારે ભરવું હોય- એટલું ભર!" ત્યારે એક અન્ય ભાઈએ સૂધારો કરતા સૂચવ્યું કે આ ઝૂંપડી જોઈને તો ભાજપ એવું કહેવા માંગે છે કે તેને મત આપ્યા બાદ તમારા ઘરનું છાપરું પણ રહેશે નહિ!
આ કોમેંટો બાદ સાંજ રથને વિદાય આપવા માટે રાષ્ટ્રીય મહામંત્રી અરુણ જેટલી આવ્યા હતા. તેમણે શ્રીફળ વધેરીને રથને વિદાય આપવાની હતી, પરંતુ નસીબજોગે બે વખત શ્રીફળની જમીન પર પછાડ્યાં બાદ પણ તે વધેરાયું નહી... ત્યારે આ બધું દૃશ્ય જોનાર એક યુવાને કહ્યું કે હવે તો બધી તાકાત "પંજા"માં આવી ગઈ છે અને "કમળ"માં રહી નથી!
(ધર્મેન્દ્ર વ્યાસ)