Publish Date: Tue, 17 Oct 2017 (15:06 IST)
Updated Date: Tue, 17 Oct 2017 (15:17 IST)
વિશ્વભરમાં કુદરતી સૌંદર્યના અનોખા આકર્ષણ સમા કચ્છમાં રણોત્સવ 2016નો નજારો માણવા દેશવિદેશથી સહેલાણીઓ ઉમટી રહ્યા છે. આવો માણીએ કચ્છ રણોત્સવના કેટલાક આકર્ષણોને. મરૂ, મેરુ અને મેરામણની ભૂમિ એવા કચ્છના સફેદ રણ પર રણોત્વસનો રંગારંગ પ્રારંભ થયા બાદ હવે દેશવિદેશથી મુલાકાતીઓ આ ભવ્ય નજારાની મુલાકાત માટે પહોંચી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે થોડા વર્ષો અગાઉ શિયાળામાં સહેલાણીઓને આકર્ષવા માટે રણોત્સવ શરૂ કર્યેો ત્યારે કલ્પના ન હતી કે તેને ભવ્ય લોકપ્રિયતા મળશે.
એક સમયે જ્યાં 800થી હજાર જેટલા સહેલાણીઓ આવતા હતા ત્યાં હવે દરરોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લઈ રહ્યા છે. કચ્છડો બારેમાસ એ કહેવત વર્ષોથી બારેમાસ ચાલી આવે છે. ત્યારે હવે શિયાળાની ઠંડીમાં સફેદ રણની ચાંદનીને માણવા શરૂ કરાયેલા રણત્સવમાં વિવિધ આકર્ષણો પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બની રહ્યા છે. આ મનમોહક આકર્ષણોમાં રાજ્યના પ્રવાસન સ્થળો, મેળા અને તહેવારો દર્શાવતા થીમપેવેલિયન, કચ્છી વાનગી પીરસતી ફૂડ કોર્ટ, ઊંટ સવારી,બલૂન ફ્લાય,પતંગોત્સવ,નારાયણ સરોવર,કાળો ડુંગર,રાજાશાહી કાળની સાક્ષી પૂરતા આયના મહેલ અને પ્રાગમહેલનો નજારો વગેરે વિશેષ આકર્ષણ જમાવી રહ્યા છે. એટલુ જ નહી હેન્ડીક્રાફ્ટ બજારમાં પણ કચ્છની પરંપરાગત વસ્તુઓનુ વેચાણ થાય છે. માત્ર દેશના જ નહી પરંતુ વિદેશના સહેલાણીઓ પણ અહી આવતા હોવાથી દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કચ્છી કલા,લોક સંસક્તિ અને લોકસંગીતનું પણ આયોજન કરવામાં આવે છે.
સફેદ ચાદર જેવી ધરતી પર સવારે અને સાંજે આથમતા સૂરજને સફેદ રણની ક્ષિતિજે જોવો પણ એક લહાવો છે. જે પ્રવાસીઓને એહી ખેંચી લાવે છે. કચ્છના અપાર કુદરતી સૌંદર્યના નજારાને લઈને હવે કચ્છ રણોત્સવ દેશ અને દુનિયાના નકશા પર નામચીન બનવા જઈ રહ્યો છે..એટલુ જ નહી ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અને મહાનાયક અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી. કેમપેઈન તેમજ "કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા" જેવા શબ્દોની અપીલ લોકોના દિલમાં ફીટ થઈ ગઈ હોય તેવુ પણ કહી શકાય. રણ, દરિયો અને પહાડી નજારાની કુદરતની અનોખી ત્રણ ભેટથી હર્યાભર્યા કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓના ભારે ધસારાને પગલે ટુરિઝમ વિભાગ દ્વારા ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પ્રવાસીઓને અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા 300 જેટલા ટેન્ટ અને 35 જેટલા ભૂંગા ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે કચ્છના આકર્ષણોને જોતા પ્રવાસીઓની સંખ્યા રેકોર્ડ નેંધાવે તો નવાઈ નહી હોય..