Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટવાસીઓને ફરવા માટે મળ્યું એક નવલું નજરાણું “રામ વન" –ધ અર્બન ફોરેસ્ટ

રાજકોટવાસીઓને ફરવા માટે મળ્યું એક નવલું નજરાણું “રામ વન
, ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (14:55 IST)
જન્માષ્ટમી પર્વ ઉપર રાજકોટ અર્બન ફોરેસ્ટ અને ૨૩ ઇલેક્ટ્રિક બસોના લોકાર્પણથી રાજકોટવાસીઓનો આનંદ  બમણો 
webdunia
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક ૪૭ એકર જમીનમાં અંદાજિત રૂ. ૧૩.૭૭ કરોડના ખર્ચે નવનિર્મિત “રામ વન” – ધ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભગવાનશ્રી રામની પ્રતિમાને વંદન કરીને રામવનનું વિહંગાવલોકન કર્યું હતું. તેમજ ૨૩ ઇલેક્ટ્રિક બસો અને તેના ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરીને બસોને લીલી ઝંડી આપી હતી.
webdunia
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ રામવનનું નિર્માણ કરીને ગ્રીન રાજકોટ ક્લીન રાજકોટના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. જન્માષ્ટમીના પાવન અવસરે રામ વનની ભેટ સાથે  વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં રાજકોટવાસીઓનો આનંદ બમણો થયો છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ અમારી ટીમ ગુજરાતે નવા નવા આયામો પર કામ કર્યું છે. પર્યાવરણ સાથે તાદાત્મ્ય રાખીને સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ સાધ્યો છે. સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરીને નવો ચીલો ચીતર્યો છે. 
 
છોડમાં રણછોડ અને પુષ્પમાં પરમેશ્વર જોવાની આપણી સંસ્કૃતિ છે ત્યારે પર્યાવરણનું જતન કરવાની આપણા સૌની નૈતિક જવાબદારી બને છે. ઈલેક્ટ્રિક વેહિકલ પોલીસી હેઠળ રાજ્યમાં ઇલેક્ટ્રોનિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. જાહેર પરિહનમાં વધુને વધુ ઇલેક્ટ્રિક બસો દાખલ કરવાનો અભિગમ સરકારે અપનાવ્યો છે. રાજકોટમાં આજે ૨૩ ઇલેક્ટ્રિક બસો અને તેના ચાર્જિંગ સેન્ટરની ભેટ મળી છે. ત્યારે આ વ્યવસ્થા રાજકોટને પ્રદુષણ મુક્ત અને સ્વચ્છ વાતાવરણ વાળું શહેર બનાવવામાં મદદ કરશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
 
વધુમાં મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા લાલ કિલ્લા પરથી દેશને અમૃતકાળમાં પાંચ સંકલ્પ લેવાનો કોલ આપ્યો છે. જેમાં પ્રથમ સંકલ્પ એટલે કે વિકસિત ભારત. ત્યારે વિકસિત ભારત માટે વિકસીત ગુજરાત અનિવાર્ય છે. વડાપ્રધાનના બે દાયકાના નેતૃત્વમાં ગુજરાત દેશનું મોડલ સ્ટેટ અને ગ્રોથ એન્જીન બન્યું છે. પર્યાવરણ પ્રિય વિકાસ દ્વારા પ્રદુષણ મુક્ત અને આત્મનિર્ભર ગુજરાત બનાવીએ. 
 
જયશ્રી રામના નારા સાથે મેયર પ્રદિપભાઈ ડવએ જણાવ્યું હતું કે, રંગીલું રાજકોટ આજે રામવનના ઉદ્ઘાટનથી સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક નગરી બની છે. તમામ ક્ષેત્રે રાજકોટે હરણફાળ વિકાસ કર્યો છે. ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા માટે પણ બ્રીજોનું નિર્માણ કર્યું છે જેનું આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રામવનના નિર્માણ અંગેનો મુખ્ય હેતુ ભારતનો સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસો જાળવી રાખવાનો છે તથા અત્યારના સમયમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. 
 
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે. જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાનશ્રી રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, ૧૫૦ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે.
 
આ ઉપરાંત ૮૦,૦૦૦ જેટલી પ્રજાતિના ૨૫ જેટલા બ્લોકમાં જે પૈકી ૨ બ્લોકમાં મીયાવાકી થીમ આધારીત પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે “ન્યુનતમ જગ્યાના  મહતમ ઉપયોગ” કરી શુષ્ક અને પથરાળ  જગ્યામાં “જન સહયોગ થકી“ જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી-થીમ” આધારીત ફોરેસ્ટ  ઉભું કરવા જુદી જુદી જાતના વૃક્ષ, શ્રબ ક્ષુપ, લતાઓ વગેરેની જાતના વૃક્ષોનું વાવેતર કરીને કાયમી રૂપમાં જતન કરવામાં આવશે. 
 
આ પધ્ધતિનો ઉપયોગ કરીને પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વર્ષાવનોના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.  રામવનના સમગ્ર વિસ્તારના વૃક્ષોનું ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી પીયત આપવામાં આવશે. જેથી પાણીનો વપરાશ ન્યૂનતમ થાય અને વિકાસ પામનાર વૃક્ષો માટે સિપેજ રિસાયકલ પાણીનો જ ઉપયોગ કરવામાં આવશે.
 
રામવનમાં રૂ.૧.૬૧ કરોડના ખર્ચે ભગવાન શ્રી રામના જીવન આધારીત જુદી જુદી ૨૨ પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણની સુરક્ષાના વિચારને કેન્દ્રમાં રાખી સમગ્ર દેશને વનથી ભરપૂર બનાવવાની ઝુંબેશ સાથે અનેકવિધ કાર્યો અને પ્રકલ્પો હાથ ધર્યા છે. ત્યારે રાજકોટમાં નિર્માણ પામેલાં "રામવન અર્બન ફોરેસ્ટ" ભાવિ પેઢીને કુદરતી વાતાવરણ સાથે જોડી રાખવા ઉપરાંત પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણનું જતન કરવામાં ખૂબ મહત્વનું પુરવાર સાબિત થશે.
 
વધુમાં ૮૦’ ફુટ રોડ ખાતે રૂ. ૧૧.૬૩ કરોડના ખર્ચે ૧૫,૨૦૦ ચો. મી.માં ઇલેક્ટ્રિક બસ માટેનું ચાર્જીંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ચાર્જીંગ સ્ટેશનમાં ૩૧૦૦ વોટનું HT વીજ કનેક્શન, ૨૫૦૦ વોટના ૨ ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, ૨૪૦ કિલો વોટના ૧૪ ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વિગેરે સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 
 
રાજકોટ મહાનગરપાલિકાએ પ્રથમ તબક્કાએ ૫૦ ઇલેક્ટ્રિક બસ મંજુર કરવામાં આવી હતી, જે પૈકી અગાઉ ૨૩ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઇલેક્ટ્રિક બસો BRTS રોડ પર તથા ૧ ઇલેક્ટ્રિક બસ AIIMS ના રૂટ પર ચલાવવામાં આવે છે. આજરોજ ૨૩ મીડી ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૨૭ મુસાફરો માટે આરામદાયક બેસવાની સુવિધા રહેશે. ઇ-બસમાં ફૂલી ઓટોમેટિક પ્રવેશ દ્વારા તથા ઇમરજન્સી દ્વારા, મુસાફરોની સલામતી માટે SOS – Emergency Alarmની સુવિધા, કેમેરા, GPS ટ્રેકિંગ સિસ્ટમ, મનોરંજન માટે રેડીઓ સિસ્ટમ વગેરે જેવી સુવિધાઓ છે. 
 
રાજકોટ શહેરમાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૪૬.૨૦ કરોડના લોકાર્પણ તથા રૂ. ૫.૯૪ કરોડના ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા. જેમાં "અમૃત" યોજના હેઠળ વોર્ડ નં. ૧૨,૧૫,૧૭, ૧૮માં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન અને વોર્ડ નં. ૧૪ ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલી ક્વોલીટી કંટ્રોલની લેબોરેટરીનું લોકાર્પણ અને વોર્ડ નં.૩ અને ૪માં નવી વોર્ડ ઓફિસ અને વોર્ડ નં. ૨માં બજરંગવાડી ખાતે આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. રામ વનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને તા. ૨૮ ઓગસ્ટ સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તમામ શહેરીજનોને રામ વનની મુલાકાત લેવા મહાનુભાવોએ જનતા જનાર્દનને અપીલ કરી હતી.
 
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગ્ટય દ્વારા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી અને રામવનની પ્રતિકૃતિ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ રજુ કરી હતી. આ સાથે મંત્રી જીતુભાઈ વાઘાણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. આભારવિધિ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Anupama Spoiler 18 August: કોમામાંથી બહાર આવશે અનુજ, બરખા અને અંકુશને ઘરમાંથી બહાર કાઢશે અનુપમા !