Publish Date: Thu, 07 Dec 2017 (16:03 IST)
Updated Date: Thu, 07 Dec 2017 (16:09 IST)
પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે અગાઉ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં નરેન્દ્ર મોદી એક વાગ્યાના નિયત સમય કરતાં બે અઢી કલાક મોડા આવ્યા હતાં. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રારંભે મોદીએ કહ્યું હતું કે, વાવાઝોડાના કારણે સભા એક દિવસ સ્થગિત કરવામાં આવી. વાવાઝોડું ઓખી આવે છે આવે છે એમ હતું પરંતુ આવું કહેનારા ક્યારે આવતાં નથી એ આપણે જોયું. એમ કહી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતનો વિકાસ કોંગ્રેસને દેખાતો નથી. અને આ જનમેદની જ 18મીના પરિણામ આપી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડ ખાતે 6 ડિસેમ્બરના રોજ સાંજે 7 કલાકે જાહેરસભાને સંબોધવાના હતા, પરંતુ ઓખી વાવાઝોડુ ત્રાટકવાની શકયતા હોવાથી જાહેરસભાને રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાને ગણતરીના કલાકો બાકી રહેવાના છે, ત્યારે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા યોજવામાં આવી છે. કારણ કે, 7મી ડિસેમ્બરના રોજ સાંજે 5 કલાકે ચૂંટણી પ્રચાર બંધ થઇ જાય તે પહેલાં નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજવામાં આવશે.