વ્યારામાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહારો, કોંગ્રેસે આદીવાસીઓ સાથે અન્યાય કર્યો
Publish Date: Mon, 04 Dec 2017 (15:13 IST)
Updated Date: Mon, 04 Dec 2017 (15:22 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે તાપીના મથક વ્યારા ખાતે પહોંચ્યાં હતાં. વ્યારા ખાતે ભાજપની જંગી ચૂંટણી સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે આદિવાસીઓ સાથે અન્યાય જ કર્યો છે . શિક્ષણથી લઈને આદિવાસીઓને વિવિધ મુદ્દે કોંગ્રેસે કરેલા અન્યાય અને ભાજપે કરેલા કામને યાદ કરાવ્યાં હતાં. સાથે કહ્યું કે, કોંગ્રેસે બકરા, કુકડા મરઘાની જ રાજનીતિ કરી હતી. વ્યારા ખાતે યોજાયેલી સભામાં અમિત શાહનું પ્રારંભે તમામ સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમિત શાહે સભાને સંબોધતાં કહ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં તેઓ આદિવાસી માટે એક જ કાર્યક્રમ કરતાં જેમાં મરઘા અને બકરા આપતાં હતાં. અને વળી જેને આપ્યા હોય તેના ઘરે જઈને એ બકરા મરઘા ખાઈ જતાં હતાં. કોંગ્રેસે આદિવાસી વિસ્તારમાં શાળા શરૂ નહોતી કરાવી, સાથે જ ભાજપે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. ભાજપના રાજમાં નર્મદા જિલ્લામાં બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હોવા સહિતના વિકાના કાર્યો યાદ કરાવ્યાં હતાં. અમિત શાહની સભામાં તાપી જિલ્લાના માજી જિલ્લા પંચાયત પ્રમુખ માવજીભાઈ ચૌધરીના પુત્ર વિજય અને સુમુલ ડેરીના ડિરેકટર પ્રવિણભાઈ ગામીત મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જોડાયા હતાં. અમિત શાહે તમામને દોઢ સો પ્લસ સીટો ભાજપને અપાવવા અપીલ કરી હતી. અને કાર્યકરોને તે માટેની રણનીતિ અપનાવવા હાંકલ કરી હતી.
આગળનો લેખ