Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માતા અંબારાણીનો દરબાર - અંબાજી

મુખ્ય 12 શક્તિપીઠોમાં ગુજરાતના અંબાજી ખૂબજ પ્રસિદ્ધ છે.

માતા અંબારાણીનો દરબાર - અંબાજી

એજન્સી

W.DW.D

'યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ'
આદિ જગદગુરૂ શંકરાચાર્યએ પણ કહ્યું છે કે, ' કુપુત્રો જાયતે કવચિદપિ કુમાતા ન ભવતિ' આપણી માઇ જગદંબા વિશ્વ નારાયણી રૂપે આ સ્થૂલ જગત પર અનેક ધર્મ સ્વરૂપે વિચરી રહી છે. એકજ નિરજંન, નિરાકાર મહાશક્તિનો કોઇ બ્રહ્મ, કોઇ તત્ત્વ અથવા શક્તિ આવા અનેક સ્વરૂપે કલ્પે છે, પરંતુ સાકાર નિરાકારની કલ્પનાના મંથનમાં ઋષીઓ, તપસ્વીઓ અને છેવટે યુગદ્રષ્ટાઓ પણ મૂંઝાયા છે. નિરાકાર બ્રહ્મથી સૃષ્ટિ ઉપર સાકાર સ્વરૂપે અવતાર ધારણ કરી ચૂકેલા અવતારોએ પણ ભગવતી પરામ્બાની સાકાર સ્વરૂપમાં સ્તુતિ, પૂજા વગેરે કરેલ છે. વિષ્ણુના અવતારમાં પણ વિષ્ણુએ પૃથ્વી પર રહીને ભગવતી પરામ્બાની સ્તુતુ અને ઉપાસના કરી છે. વિશ્વજનની માં અંબા અંબાજીમાં બિરાજે છે. જેના દર્શન માત્રથી વિશાળ વિશ્વ માતૃત્વનો ભાવ સિદ્ધ થાય છે.

ભારતમાં 51 શક્તિપીઠો આવેલી છે. જેમાં 12 શક્તિપીઠો મુખ્ય છે. ઉજ્જૈન માં ભગવતી મહાકાલી, મહાશક્તિ, કન્યાકુમારીમાં માતા કામાક્ષી કાંચીપૂરમ, બ્રહ્મારંભા મલયગીરી, કુમારિકા, ગુજરાતના અંબાજીમાં માતા અંબા, કોલ્હાપુરમાં મહાલક્ષ્મી,પ્રયાગમાં દેવી લલિતા, વારાણસીમાં વિદ્યાવ્યાસીની વિંધ્યમાં વિશાલક્ષી, ગયામાં મંગલા દેવી. ભારતમાં 51 શક્તિપીઠ બનવા પાછળ એક કથા છૂપાયેલી છે. દક્ષે યજ્ઞ કર્યો અને તેમાં શંકરને આમંત્રણ ન આપ્યું. છતાં સતી પોતાના પિતાને ત્યાં આમંત્રણ વગર ગયાં ત્યાં શંકરનું સ્થાપન નહીં જોતા સતીને ક્રોધ થયોને પોતે યજ્ઞ કૂંડમાં પડયા. આ સમયે સતીની સાથે આવેલા શંકરના ગણોમાં વીરભદ્રે દક્ષનું મસ્તક કાપીને યજ્ઞ કૂંડમાં નાંખ્યું અને ત્રિલોકનો નાશ કરવા તૈયાર થયો. જેથી બ્રહ્માદી દેવો શંકરના શરણે ગયા અને શંકર દક્ષને ત્યાં આવ્યા. દક્ષનું મસ્તક તો કૂંડમાં પડી ગયું હતું પરંતુ બકરાનું મસ્તક સાંધીને દક્ષને સજીવન કર્યા. દક્ષે શંકરની માફી માંગી. આ પછી કૂંડમાં પડેલા સતીના શબને ખમ્બા પર નાખીને ચિતે ભમવા લાગ્યા. તે સમયે બ્રહ્માદી દેવોને ચિંતા થઇ અને વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના શબને પાછળથી કાપવા લાગ્યા. આ સતીના શબના ટૂકડા જ્યાં જ્યાં પડયા ત્યાં ત્યાં શંકર ભગવાન દેવી શક્તિ સાથે મૂર્તિ દ્વારા પ્રસન્ન થયા. આથીજ આ તમામ પીઠ સ્થાનો 'શક્તિપીઠ' થી ઓળખાવા લાગ્યા. આ મુખ્ય 12 શક્તિપીઠોમાં ગુજરાતના અંબાજીના અંબામાં ખૂબજ પ્રસિદ્ધ છે.
webdunia
W.DW.D

ગુજરાતની ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લાની અરવલ્લી પર્વતમાળાની અર્બુદાગિરીની બાજુના ડુંગર પર માઁ અંબા બિરાજમાન છે. અમદાવાદથી લગભગ 100 કિ.મી. ના અંતરે આવેલુ આ પવિત્ર ધામ ગુજરાત સહિત દુનિયાભરના શ્રધ્ધાળુઓ માટે આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. ભારતવર્ષમાં કુલ 52 શક્તિપીઠોમાંથી બે ગુજરાતમાં આવેલા છે જેમાં ઉત્તરમાં આરાસુરવાળી માઁ અંબા અને પૂર્વમાં પાવાગઢવાળી મહાકાળી માઁ નું મંદિર આવેલું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કળયુગમાં દેવીના અને ગણપતિના ઉપાસકો વધુ હશે.

લોકવાયકા એવી છે કે પહેલાં અંબાજીનું મૂળસ્થાન ખેડબ્રહ્મા હતુ. દાંતાના રાજાની ભક્તિભાવથી પ્રસન્ન થઈને માતાએ તેમના રાજ્યમાં વસવાનું વચન આપ્યુ, પણ એ શરતે કે રસ્તામાં તે જ્યાં પાછુ વળશે માતાજી ત્યાંજ રોકાઈ જશે. આગળ રાજા ચાલી રહ્યાં હતાં અને પાછળ માતાજીની સવારી આવતી હતી. રસ્તામાં ગાઢ જંગલ આવતાં રાજાને માઁ અંબાના વચન પર શંકા થઈ આથી તેમણે પાછળ વળીને જોયું, પરિણામે શરત પ્રમાણે માતાજી ત્યાં જ સ્થાયી થઈ ગયા.

webdunia
W.DW.D

આજે ત્યાં માતાજીના પ્રાચીન મંદિરની જગ્યાએ આરસપહાણના પથ્થરથી ભવ્ય મહેલ બંધાયો છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં સાતેય દિવસ માતાજી અલગ અલગ સવારી પર બિરાજતાં જોવા મળે છે. રવિવારે વાધની સવારી, સોમવારે નંદી, મંગળવારે સિંહની, બુધવારે ઐરાવત હાથીની, ગુરૂવારે ગરુડની, શુક્રવારે હંસની અને શનિવારે હાથીની સવારી હોય છે. વેદોમાં જણાવ્યા મુજબ તો આ મંદિર અતિ પ્રાચીન છે. અહીં ગર્ભગૃહમાં માતાજીને જ્યારે વિવિધ શણગારોથી સજાવવામાં આવે છે ત્યારે તે અત્યંત સોહામણી લાગે છે. અહીં કોઈ પણ પ્રકારના ધાતુની પ્રતિમા નથી પણ એક ગોખ છે જ્યાં સોનાથી મઢાયેલુ વીસાયંત્ર મુકવામાં આવેલું છે. આ વીસાયંત્રને માતાજીના વસ્ત્રાલંકારો વડે એવી રીતે સજાવવામાં આવે છે કે દર્શનાર્થીઓને માઁ અંબા પોતાના વાહન પર આરૂઢ હોય તેવો આભાસ થાય છે. આ વીસાયંત્રની પૂજાં દાંતા નરેશના વંશનો પૂજારી જ કરે છે, અને તે પણ આંખે પટ્ટી બાંધીને. કહેવાય છે કે આ વીસાયંત્રને આજ સુધી કોઈ જોઈ શક્યું નથી અને ન તો તેનો ફોટો પાડવાની પરવાનગી આપે છે.

અંબા માતાના મુખ્ય મંદિર પાસે મોટો ચોક આવેલો છે, જેને આરસપહાણના પથ્થરથી જડવામાં આવેલો છે. આ ચોક 'ચાચર ચોક' ના નામે ઓળખાય છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણના પત્ની રૂક્ષ્મણિ પણ માઁ અંબાની મોટી ભક્ત હતી. ગબ્બર માતાજીનું મૂળ સ્થાનક મનાય છે. વર્ષો પહેલાં પાટવીકુંવર જશરાજે અહીં પર્વતની ટોચે માતાજીની સ્થાપના કરી હતી. જે આજે ગબ્બર તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યો છે. આ ગબ્બર મુખ્ય મંદિરથી ચાર કિલોમીટર દૂર આવેલો છે. અહીં ચઢવા માટેના પગથિયા પ્રદક્ષિણા કરતાં છે . આ ગંબ્બરની અંદર માઁની ગુફાનું દ્રાર હોવાનું મનાય છે. અહીં આવેલા પીપળા ગામ નજીકના વિચડ ગામમાંથી ભક્તોને હજુ પણ હિંડોળાનો અવાજ આવવાનું મનાય છે. એવી માન્યતા છે કે ગબ્બર પર અંબાજીના સ્થાનક પર દીવો પ્રગટાવવાથી મંદિરમાં તે આપોઆપ જ દેખાય છે. મંદિરમાં અને ગબ્બરગૃહમાં આરતી એક જ સમયે થાય છે.
webdunia
PRP.R

અહીં ગુજરાત ઉપરાંત મહરાષ્ટ્ર, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ભક્તજનો આવે છે. અંબાજીના દર્શને પગપાળા જનારાંઓ પણ ધણા છે. એવું કહેવાય છે કે પગે ચાલીને માતાજીના દર્શને જનારાંઓની વિનંતી માતાજી જરૂર સાંભળે છે. આ પગપાળા સંધની શરૂઆત કેવી રીતે થઈ તેની કોઈ ચોક્કસ માહિતી નથી. એક માન્યતા પ્રમાણે જ્યારે આજથી 175 વર્ષ પહેલાં જ્યારે અમદાવાદમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે અમદાવાદના જૈન સમુદાયના અગ્રણી હઠીસિંહનું હૃદય કરુણાથી વ્યથિત થઈ ગયું, તેમને માઁ અંબાને અરજ કરી અને માત્ર અઢાર દિવસમાં જ પ્લેગનો પંજો સમેટાઈ ગયો અને આથી હઠીસિહએ માતાનો આભાર માનવા અંબાજીએ પગપાળા નીકળી પડ્યાં, અને તે દિવસ ભાદરવી પૂનમનો હતો. બસ ત્યારથી ભક્તો અહીં આવીને ધજા ચઢાવે છે. ભક્તજનો પોતાની રક્ષા માટે હાથમાં લાલ રંગનો ડડો રાખે છે જેથી આને લાલડંડાવાળો સંધ કહે છે.

અંબાજી જવાનો રસ્તો - અંબાજી પહોંચવાનો મુખ્ય માર્ગ અમદાવાદ-મહેસાણા-ખેરાલું હાઈવે છે. આ સિવાય યાત્રાળુઓ અન્ય માર્ગોમાં રેલ માર્ગે જવું હોય તો અમદાવાદ થી પાલનપુર કે હિમંતનગર થઇને જઇ શકાય છે.

જેમ કે અમદાવાદ-ચિલોડા-હિમંતનગર-ઈડર-ખેડબ્રહ્મા થઈને અંબાજી પહોંચી શકાય છે. આ ઉપરાંત કલોલ-નંદાસણ-મહેસાણા-ઉંઝા-સિધ્ધપૂર-પાલનપૂર થઈને પણ અંબાજી પહોંચી શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati