Publish Date: Tue, 26 May 2020 (13:26 IST)
Updated Date: Tue, 26 May 2020 (13:28 IST)
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જઇ રહી છે. ગુજરાતમાં દરરોજ 300થી વધુ કેસો છેલ્લા 27 દિવસથી નોંધાઈ રહ્યાં છે. તેમાં પણ સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાય છે. સાથોસાથ રાજ્યમાં દરરોજ નોંધાતા મોતમાં પણ સૌથી વધારે મોત અમદાવાદમાં થાય છે. તેમાંપણ મોટાભાગના મોત સિવિલ હોસ્પિટલમાં થતા હોવાના અહેવાલો પણ આવ્યા છે. ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં અને સિવિલની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ખૂબ જ ખરાબ સ્થિતિ હોવાની વાતે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે અને હવે ધમણ-1 વેન્ટિલેટરને લઇને રાજકારણ પણ ગરમાયું છે. આજે સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયેલા કોંગ્રેસના નેતાઓએ સિવિલમાં સ્પેશિયલ ઓફિસર તરીકે નિમાયેલા એમ.એમ. પ્રભાકર સાથે મુલાકાત કરી હતી અને હોસ્પિટલની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસના નેતાઓએ 1200 બેડની કોવિડ હોસ્પિટલની મુલાકાત માટે જવા દેવા આવે તેવી વાત કરી હતી. જોકે હાઈ રિસ્કરના કારણે તેમને ત્યાં ન જવા દેવા આવે તેવુ હાલ જાણવા મળ્યું છે.