Publish Date: Mon, 13 Apr 2020 (13:19 IST)
Updated Date: Mon, 13 Apr 2020 (13:20 IST)
રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક 500ને વટાવી ચૂક્યો છે.અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના 20 જિલ્લાઓને ઝપટમાં લીધા છે. આજે ગુજરાતમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ 538 દર્દીઓ થયા છે. જ્યારે વધુ બે મોત સાથે મૃત્યુઆંક 26એ પહોંચ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લોકડાઉન અંગે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાતમાં લોકડાઉન લંબાવાશે કે નહીં તે અંગે આવતીકાલે જાહેરાત
કરવામાં આવશે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ થયા છે. બે દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 26 થયો છે. જ્યારે 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 45 પોઝિટિવ,1945 નેગેટિવ આવ્યા છે. જ્યારે 273 ટેસ્ટ પેન્ડિંગ છે.