Publish Date: Thu, 21 May 2020 (15:01 IST)
Updated Date: Thu, 21 May 2020 (15:02 IST)
રાજ્યભરમાં લૉકડાઉનમાં ભલે છૂટછાટો આપવામાં આવી હોય પણ દરરોજ કોરોનાથી થતા મોતના આકડામાં હજુ મોટો ઘટાડો થયો નથી. છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં કોરોનાથી કુલ 256 લોકોના મોત નિપજ્યાં છે. દરરોજ સરેરાશ 25થી 30 લોકોના મોત નિપજે છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 749 મોત નોંધાઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ 602 મૃત્યું એકલા અમદાવાદમાં નોંધાયા છે. બુધવારે રાજ્યમાં કુલ 397 નવા કેસ નોંધાયા હતા જ્યારે કુલ 30 મોત નોંધાયા હતા. એકલા અમદાવાદમાં નવા 271 કેસ અને 26 મૃત્યું થયા હતા. બુધવારે સાંજ સુધીના 24 કલાકમાં કુલ 6,098 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારે રાજ્યમાં 176 દર્દીઓને રજા આપવામાં આવી હતી. છેલ્લા 10 દિવસમાં એક જ દિવસમાં સૌથી વધુ 35 મોત 18 મેના રોજ નોંધાયા હતા. બુધવારે રાજ્યમાં કુલ 398 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયાની બીજી ઘટના છે. આ પહેલા 5 મેના રોજ 24 કલાકમાં સૌથી વધુ 441 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સાથે જ છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં દરરોજ 300થી વધારે કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં દરરોજ 250થી વધારે કેસ નોંધાયા છે.