Publish Date: Mon, 31 Aug 2020 (09:41 IST)
Updated Date: Mon, 31 Aug 2020 (09:44 IST)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવે સંપૂર્ણ સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સોમવારે સવારે અમિત શાહને 12 દિવસ બાદ એમ્સમાંથી રજા આપવામાં આવી હતી. થોડા દિવસ પહેલા કોરોના થયા પછી સારવાર માટે અમિત શાહને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી છે.
ગૃહ પ્રધાન અમિત શાહ થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. મેદાંતા હોસ્પિટલમાં સારવાર બાદ થાક અને શરીરમાં દુ:ખાવાની ફરિયાદ થતા એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિત શાહની સારવાર એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીને 18 ઓગસ્ટના રોજ દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ઓલ્ડ પ્રાઈવેટ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા. એઇમ્સ વિભાગના મીડિયા અને પ્રોટોકોલ દ્વારા રજુ કરવામાં આવેલી એક અખબારી યાદી મુજબ, તેમની કોરોના તપાસ પણ કરવામાં આવી, જે નેગેટિવ રહી છે.
55 વર્ષીય શાહે 2 ઓગસ્ટના રોજ ટ્વિટર દ્વારા દેશને કહ્યું કે તેઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. ત્યારબાદ તેમને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને અહીથી રજા આપવામાં આવી હતી