Publish Date: Mon, 08 Jun 2020 (12:10 IST)
Updated Date: Mon, 08 Jun 2020 (12:51 IST)
અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલી એસવીપી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ સોમવારે સવારેથી જ હડતાળ પર ઉતરી ગયો છે. કારણે તેમના પગારમાં 20 તકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાથી નારાજ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ વાતને લઇને સિક્યોરિટી અને નર્સિંગ સ્ટાફ વચ્ચે હાથાપાઇ થઇ હતી.
કામથી અળગા રહીને નર્સિંગ સ્ટાફે હોસ્પિટલના કેમ્પસમાં ધરણા યોજ્યા હતા. કર્મચારીએ જણાવ્યું હતું કે પગાર ઘટાડાની સૂચના પહેલાં આપવામાં આવી ન હતી. તેમણે તો ઇમેલ દ્વારા ખબર પડી કે પગારમાંથી 20 ટકા કાપવામાં આવ્યા છે. 30 હજારના પગારદારને 22 હજાર અને 20 હજારના પગારદારને 14 હજાર જેટલો પગાર આપવામાં આવશે તેવી જાણ કરતા નર્સિંગના કર્મચારીઓ નારાજ થયા છે. બીજી તરફ રાજ્ય સરકારે આદેશ કર્યો છે કે જે કોરોના વોરિયર્સ છે, તેમને વધારાનું વેતન આપવામાં આવશે. આ વાતને લઇને ધરણા યોજવામાં આવ્યા છે. ત્યારે સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે હાથાપાઇના દ્વશ્યો સર્જાયા હતા.
પગાર વધારાને લઇને નર્સિંગનો 75 ટકા સ્ટાફ એસવીપી કેમ્પસમાં જમા થયો હતો. બીજી તરફ કોન્ટ્રાક્ટ કરનાર યૂડીએસ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નર્સિંગના પગારમાં ઘટાડો થશે, તેની જાણકારી કંપનીએ આપી હતી. કર્મચારી જો વિરોધ કરી રહ્યા છે તો તે ખોટું છે, તેમને કામ કરવું હોય તો કરે, નહીતર તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે. કંપનીએ આ વખતે પીપીઇ કીટ, માસ્ક સહિત ઘણા પ્રકારના નવા ખર્ચ કરવામાં આવ્યા છે, એટલા માટે યૂડીએસ કંપનીએ પગારમાં ઘટાડો કર્યો છે.