Publish Date: Tue, 10 Feb 2026 (13:37 IST)
Updated Date: Tue, 10 Feb 2026 (13:50 IST)
sonu sood supports rajpal yadav
રૂ 9 કરોડના દેવા અને ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં મોકલવામાં આવતા પહેલા અભિનેતા રાજપાલ યાદવના ભાવનાત્મક નિવેદનથી બોલિવૂડમાં એકતાની લહેર ફેલાઈ ગઈ છે. અભિનેતા સોનુ સૂદે રાજપાલ યાદવને ટેકો આપવા આગળ આવ્યા, તેમને એક ફિલ્મ અને નાની રકમની ઓફર કરી. સોનુ સૂદે સ્પષ્ટતા કરી કે આ ટેકો દાનનું સ્વરૂપ નથી, પરંતુ વ્યાવસાયિક સન્માન અને સહયોગનું પ્રતીક છે. તેમણે લોકોને આગળ આવીને અભિનેતાને મદદ કરવા પણ વિનંતી કરી.
સોનૂ સુદનુ ટ્વીટ
મંગળવારે, રાજપાલ યાદવનું ભાવનાત્મક નિવેદન સામે આવ્યું, જેમાં તેણે પોતાની આર્થિક મુશ્કેલી અને એકલતા વિશે વાત કરી. સોનુ સૂદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા પોતાનો ટેકો વ્યક્ત કર્યો. સોનુએ રાજપાલને તેની ફિલ્મમાં ભૂમિકા આપવાની ઓફર જ નહીં, પરંતુ ફિલ્મ ઉદ્યોગને આ મુશ્કેલ સમયમાં તેની સાથે ઊભા રહેવાની અપીલ પણ કરી. સોનુ સૂદે પોતાની પોસ્ટમાં લખ્યું, "રાજપાલ યાદવ એક અત્યંત પ્રતિભાશાળી અભિનેતા છે જેમણે વર્ષોથી આપણા ઉદ્યોગને યાદગાર પ્રદર્શન આપ્યું છે. ક્યારેક જીવન મુશ્કેલ બની શકે છે, પ્રતિભાને કારણે નહીં, પરંતુ સમય ભયંકર હોઈ શકે છે. તે મારી ફિલ્મનો એક ભાગ બનશે. મારું માનવું છે કે આ આપણા બધા માટે, નિર્માતાઓ, દિગ્દર્શકો અને સહકાર્યકરો માટે, સાથે ઊભા રહેવાનો ક્ષણ છે. એક નાની સાઇનિંગ રકમ, જે ભવિષ્યના કામ સામે ગોઠવી શકાય છે, તે દાન નથી, પરંતુ આદર છે."
રાજપાલ યાદવે વ્યક્ત કરી હતી પોતાની લાચારી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જ્યારે આપણું કોઈ પોતાનું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હોય, ત્યારે ઇન્ડસ્ટ્રીએ તેને એ યાદ અપાવવું જોઈએ કે તે એકલો નથી. આ રીતે અમે બતાવીએ છીએ કે અમે માત્ર એક ઇન્ડસ્ટ્રી નથી, પરંતુ એક પરિવાર પણ છીએ." સોનુ સૂદનું આ નિવેદન તે સમયે સામે આવ્યું જ્યારે રાજપાલ યાદવનો ઈમોશનલ વીડિયો અને નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. બોલિવૂડ હંગામાના એક અહેવાલ મુજબ, તિહાર જેલમાં સરન્ડર કરતા થોડા સમય પહેલા રાજપાલ યાદવે અધિકારીઓ સામે પોતાની આર્થિક સ્થિતિ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. જ્યારે તેમને તેમની કાનૂની મુશ્કેલીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, "સર, શું કરું? મારી પાસે પૈસા નથી. કોઈ રસ્તો દેખાતો નથી."
શું છે સમગ્ર મામલો?
જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે તેમણે પ્રિયદર્શન જેવા ઇન્ડસ્ટ્રીના મિત્રો પાસે મદદ કેમ ન માંગી, ત્યારે રાજપાલ યાદવે કહ્યું, "સર, અહીં આપણે બધા એકલા છીએ. કોઈ મિત્ર હોતું નથી. મારે આ મુશ્કેલીનો સામનો જાતે જ કરવો પડશે." રાજપાલ યાદવની કાનૂની મુશ્કેલીઓ વર્ષ 2010માં શરૂ થઈ હતી, જ્યારે તેમણે પોતાની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ 'અતા પતા લાપતા' (2012) માટે દિલ્હી સ્થિત મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી રૂ. 5 કરોડની લોન લીધી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી, જેના કારણે પેમેન્ટ થઈ શક્યું નહીં અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો. એપ્રિલ 2018માં મેજિસ્ટ્રેટ કોર્ટે રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધા યાદવને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
6 મહિનાની જેલની સજા
ફરિયાદીને આપવામાં આવેલા સાત ચેક બાઉન્સ થયા બાદ અભિનેતાને છ મહિનાની સાદી જેલની સજા ફટકારવામાં આવી હતી, જેને 2019ની શરૂઆતમાં સેશન્સ કોર્ટે પણ યથાવત રાખી હતી. આ પછી દિલ્હી હાઈકોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં તેમની મુશ્કેલીઓ વધતી ગઈ. જૂન 2024માં કોર્ટે સજાને કામચલાઉ ધોરણે સ્થગિત કરી હતી અને બાકી રકમ ચૂકવવા માટે "પ્રામાણિક અને નક્કર પગલાં" લેવાનો નિર્દેશ આપ્યો હતો, જે વધીને લગભગ રૂ.9 કરોડ સુધી પહોંચી ગઈ હતી. જોકે, વારંવાર ડેડલાઇન ચૂકી જવા અને વચનો પૂરા ન થવાને કારણે કોર્ટનું વલણ કડક બન્યું હતું.