Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુશાંતસિંહની આત્મહત્યા : જિંદગીના છેલ્લા કલાકોની કહાણી

સુશાંતસિંહની આત્મહત્યા : જિંદગીના છેલ્લા કલાકોની કહાણી

મધુ પાલ વોહરા

મધુ પાલ વોહરા , સોમવાર, 15 જૂન 2020 (12:37 IST)
બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત હવે આપણી વચ્ચે રહ્યા નથી આ ખબર જેમણે પણ સાંભળી તેમની આંખો ભીની થઈ ગઈ. ટીવી સિરીયલ્સમાં પોતાના અભિનયનો જાદુ દેખાડ્યા બાદ ફિલ્મો દ્વારા લોકોનાં દિલમાં પોતાની જગ્યા બનાવનારા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે.
 
તેમણે મુંબઈના બાંદ્રામાં જ્યાં તેઓ ભાડાના ફ્લેટમાં રહેતા હતા એ જ ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી.સુશાંતની આત્મહત્યાનું કારણ હજી સામે આવ્યું નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશન સામે લડી રહ્યા હતા. 
 
સુશાંતસિંહ રાજપૂતનો મુંબઈમાં ખુદનો ફ્લેટ હતો પરંતુ તેઓ મોટા ઘરમાં રહેવા માગતા હતા એટલે આઠ મહિના પહેલાં તેઓ ભાડાના ફ્લેટમાં રહેવા આવી ગયા હતા.
 
તેઓ આ ફ્લેટમાં એકલા નહોતા રહેતા તેમની સાથે તેમના ક્રિએટિવ મૅનેજર, તેમના એક મિત્ર અને નોકર, જે તેમનું ખાવાનું બનાવતા હતા તેઓ રહેતા હતાં.
 
એ ઘરમાં રહેનારા કોઈ પણ લોકોએ નહીં વિચાર્યું હોય કે રવિવારની સવાર અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી સવાર હશે.
 
સુશાંતસિંહની આત્મહત્યા પર અનુષ્કા શર્માએ કહ્યું, 'તું જલદી જતો રહ્યો'
 
સુશાંતસિંહ રાજપૂતના નોકરે પોલીસને જણાવ્યું, "સવાર સુધી બધું સારું હતું. સવારે 6-30 વાગ્યે સુશાંતસિંહ જાગ્યા હતા. ઘરના નોકરે તેમને નવ વાગ્યે દાડમનો જ્યૂસ આપ્યું. જે તેમણે પીધું પણ હતું."
 
"જે બાદ સુશાંતસિંહે 9 વાગ્યે તેમની બહેન સાથે વાતચીત કરી હતી. બહેન સાથે વાત કર્યા બાદ તેમણે પોતાના મિત્ર મહેશ શેટ્ટી સાથે વાત કરી જેઓ એક અભિનેતા છે અને તેમની સાથે જ સુશાંતસિંહે પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી."
 
"આ બંને એકતા કપૂરના શો 'કિસ દેશ મેં હોગા મેરા દિલ'માં સાથે જોવા મળ્યા હતા. બંને ખૂબ સારા મિત્રો હતા અને સુશાંતે અંતિમ કૉલ પણ તેમને જ કર્યો હતો."
 
"જે બાદ તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા હતા અને રૂમને અંદરથી લૉક કરી દીધો હતો. જ્યારે 10 વાગ્યે નોકર જમવા માટે પૂછવા આવ્યો તો સુશાંતે દરવાજો ના ખોલ્યો."
 
બે-ત્રણ કલાક પછી મૅનેજરે સુશાંતસિંહની બહેનને કૉલ કર્યો. બહેન આવ્યાં અને તાળાની ચાવી બનાવનારાને બોલાવીને દરવાજો ખોલવામાં આવ્યો.
 
પોલીસના જણાવ્યા પ્રમાણે સુશાંતસિંહનું મોત 10થી 1 વાગ્યાની વચ્ચે થયું હોવું જોઈએ. બહેન અને બાકી ત્યાં હાજર લોકોએ સુશાંતસિંહના મૃતદેહને લટકતો જોયો, જે બાદ નોકરે ફોન કરીને પોલીસને બોલાવી.
 
પોલીસે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે અમને સુશાંતના મોતની જાણ બે વાગ્યે થઈ હતી. 2:30 વાગ્યે પોલીસ તેમના ફ્લેટ પર પહોંચી. મુંબઈ પોલીસે 2:30 વાગ્યે પોતાની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસને ફ્લેટમાંથી અત્યાર સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી.
 
બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહના મૃતદેહને સાંજે સાડા પાંચ વાગ્યે ડૉક્ટર આર. એન. કપૂર હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો. જ્યાં તેમનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે.
 
સાંજે છ વાગીને 45 મિનિટની આસપાસ ડીસીપી ઝોન-9ના અભિષેક ત્રિમુખે મીડિયાને જણાવ્યું, "અભિનેતા સુશાંતસિંહનું મોત ગળાફાંસો ખાવાથી થયું છે. જોકે, પોલીસ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ તેમના મોતનું સાચું કારણ જણાવી શકે છે. "
 
અભિનેતા સુશાંતસિંહ રાજપૂત 34 વર્ષના હતા અને તેમણે બોલીવૂડમાં પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી હતી. બિહારથી તેમના પિતા અન પરિવારના સભ્યો મુંબઈ પહોંચી રહ્યા છે સોમવારે તેમના અંતિમસંસ્કારની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાનમાં કોરોનાને કારણે સ્થિતિ બેકાબૂ થશે? મંત્રીએ કહ્યું - જુલાઈના અંત સુધીમાં 12 લાખ કેસ થશે