Publish Date: Wed, 01 May 2019 (18:30 IST)
Updated Date: Wed, 01 May 2019 (18:36 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ગુજરાત રાજ્ય ફૅર પ્રાઇઝ શૉપ્સ ઍન્ડ કેરોસીન ઍસોસિએશનના પ્રમુખ પ્રહ્લાદભાઈ મોદીનાં પત્ની ભગવતીબહેન મોદીનું 55 વર્ષની વયે નિધન થયું છે.
નાદુરસ્ત તબિયતને પગલે ભગવતીબહેનને બુધવારે સવારે હૉસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને હૃદયનો હુમલો આવ્યો હતો.
અસરવાની સિવિલ હૉસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હોવાનું ઍસોસિએશનના હોદ્દેદાર હર્ષદભાઈ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું.
વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ સાથે પ્રહ્લાદભાઈ મોદીએ આ વાતની પુષ્ટિ કરી હતી.
પ્રહ્લાદભાઈના જણાવ્યા અનુસાર ભગવતીબહેન ભારે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરથી પીડાતાં હતાં.
ભગવતીબહેન પરિવાર સાથે અમદાવાદના સેટેલાઇટમાં આવેલા દેવપ્રિયા બંગલોઝમાં રહેતાં હતાં.
બુધવારે અંતિમ સંસ્કાર
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રબારી કૉલોની ખાતે પરિવારનો મોદી શોરૂમ આવેલો છે.
ગુજરાત રાજ્ય ફૅર પ્રાઇઝ શૉપ્સ ઍન્ડ કેરોસીન ઍસોસિએશનના હોદ્દેદાર હર્ષદ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું,
"સંગઠનના કામના કારણે પ્રહ્લાદભાઈને ઘર બહાર રહેવું પડતું હતું, ત્યારે ભગવતીબહેન જ પરિવારની જવાબદારી સંભાળતા હતા."