Publish Date: Sat, 09 Nov 2019 (00:03 IST)
Updated Date: Sat, 09 Nov 2019 (07:13 IST)
સુપ્રીમ કોર્ટ આજે શનિવારે સવારે 10:30 કલાકે અયોધ્યા વિવાદમાં ચુકાદો સંભળાવશે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસના નિર્ણયને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને જાગૃત રહેવાની સૂચના આપી છે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામાન્ય સલાહ આપવામાં આવી છે.
અધિકારીએ કહ્યું કે, રાજ્યોને તમામ સંવેદનશીલ સ્થળો પર પુરતી સુરક્ષાકર્મીઓ તૈનાત કરવા અને એ સુનિશ્વિત કરવા કહેવામાં આવ્યું છે કે દેશમાં ક્યાંય પણ કોઇ અપ્રિય ઘટના ના ઘટે. અધિકારીએ કહ્યુ કે, મંત્રાલયે કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે રાજ્ય સરકારની મદદ માટે અર્ધસૈનિક દળોની 40 કંપનીઓ મોકલી છે.
અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદાની શક્યતાને ધ્યાનમાં રાખીને અયોધ્યા સહિત સમગ્ર ઉત્તરપ્રદેશમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરક્ષા વ્યવસ્થા પર ઉત્તરપ્રદેશના ડીજીપી ઓ પી સિંહે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અમારા રડાર પર 12,000લોકો આવ્યા છે જેમને અમે સીઆરપીસીની કલમો અંતર્ગત ચેતવણી આપી છે જેથી તેઓ શાંતિનો ભંગ ન કરે. તેમાંથી 500થી વધુને અટકાયતમાં લઈ જેલમાં મોકલી અપાયા છે.
તેમણે જણાવ્યું હતું કે, અમે સૌથી વધુ નજર સોશિયલ મીડિયા પર રાખી રહ્યા છીએ. અમે અત્યારે ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારા 1659 લોકોના એકાઉન્ટ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. જો જરૂર પડશે તો અમે ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં લેવા તૈયાર છીએ. સરકારે પોલીસને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઈપણ કિંમત પર શાંતિ જળવાઈ રહેવી જોઈએ. અમે પેટ્રોલિંગ, ચેકિંગ સહિતની તમામ કવાયત કરી રહ્યાં છે. જિલ્લા અધિકારીઓ ધર્મગુરુઓ સાથે બેઠક કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં 6000 શાંતિ બેઠકો યોજી 5800 ધર્મગુરુઓ સાથે મુલાકાત કરાઈ હતી. અમે સેના અને વાયુસેનાના પણ સંપર્કમાં છીએ.
ગૃહમંત્રાલયે બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી આગેવાનીની ઉત્તર પ્રદેશ સરકારને અયોધ્યામાં તમામ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ સુનિશ્વિત કરવાનો આગ્રહ કર્યો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે અસામાજિક તત્વો ધાર્મિક ભાવનાઓને ભડકાવી શકે છે જેથી પરિપત્રમાં ઉત્તર પ્રદેશ સરકારને અતિસંવેદનશીલ ક્ષેત્રો પર નજર રાખવા માટે પોલીસ તૈનાત કરવાના નિર્દેશ અપાયા હતા.