Publish Date: Wed, 06 May 2020 (14:02 IST)
Updated Date: Wed, 06 May 2020 (14:03 IST)
કોરોનાના કેસો હવે અમદાવાદ શહેરની સાથે સાથે જિલ્લામાં પણ સતત વધી રહ્યાં છે. શહેરમાં સુપર સ્પ્રેડર જેમ વાઇરસના ફેલાવામાં મોટો ભાગ ભજવી રહ્યાં છે તેમ હવે જિલ્લામાં પણ સુપર સ્પ્રેડર વધ્યા છે. જિલ્લાના ધોળકા શહેરમાં એક સાથે 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક જ પરિવારના આઠ લોકોને કોરોના થયો છે જ્યારે બાકીના 3 કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને શાકભાજીના ફેરિયાઓ દ્વારા ચેપ લાગ્યો છે. ધોળકામાં રહેતો યુવક તરબૂચનો ધંધો કરે છે અને દરરોજ નારોલ અને જેતલપુરમાં તરબૂચ લેવા જતો હતો. જ્યાંથી ચેપ લાગતા તેને અને તેના પરિવારના 8 લોકો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ધોળકામાં જ રહેતા 3 યુવકો શાકભાજી વેચતા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા તેઓનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા શાકમાર્કેટને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરની બહાર જેતલપુર માર્કેટમાં ખસેડી દીધી હતી.જેતલપુરમાં માર્કેટ ખસેડવામાં આવતા ત્યાં કેસો વધ્યા હતા.બાદમાં જેતલપુર ગામમાં કેસો નોંધાયા હતા. જિલ્લાની આસપાસના ગામના લોકો પણ શાકભાજી લેવા ત્યાં જતા જિલ્લામાં કેસો વધ્યા છે. જેતલપુર માર્કેટના કારણે કેસો વધવાને પગલે બોપલ વિસ્તારમાં હવે જેતલપુરમાંથી આવતા ફળફળાદી પણ રોકી દેવામાં આવ્યા છે.