Publish Date: Fri, 12 Jun 2020 (16:28 IST)
Updated Date: Fri, 12 Jun 2020 (16:32 IST)
વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા વંદે ભારત મિશન યોજના બાદ ભારતીય નૌસેના દ્રારા શરૂ કારાયેલા ‘ઓપરેશન સમુદ્ર સેતુ’ નાં ભાગરૂપે 11 જૂનનાં રોજ આજનાં દિવસે ઈંગજ શાર્દુલ જહાજ મારફતે ગુજરાતનાં 233 નાગરિકોને ઇરાનથી પોરબંદર લાવવામાં આવ્યા છે. ભારતીય નૌસેના આઈએનએસ શાર્દુલ જહાજમાં હેમખેમ ફરેલા નાગરિકોએ સરકારનો આભાર માન્યો હતો. પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ ટીમવર્કથી આખુ આયોજન સફળ કર્યું હતું. ઇરાનથી આવેલા તમામ નાગરિકોનું મેડિકલ ચેકઅપ તથા તેઓના સામાનને સંપૂર્ણ સેનિટાઇઝ કરાયા બાદ તમામને સુરક્ષિત જિલ્લા ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અહીં તેઓને રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે. જહાજ મારફત આવેલા તમામ નાગરિકોને વ્યવસ્થા પૂરી પાડવા માટે નોડલ ઓફિસર તરીકે પોરબંદર પ્રાંત અધિકારી કે.વી.બાટીની નિમણૂક કરાઇ હતી. નોડલ ઓફિસરે આ સંદર્ભે જણાવ્યુ કે, કલેક્ટર ડી.એન.મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીના માર્ગદર્શન હેઠળ ઇરાનથી આવેલા તમામ નાગરિકો માટે વ્યવસ્થા અને તકેદારીના પગલાં લેવાયા છે. 233 ભારતીયોને લઇને ઇરાનનાં બંદર અબ્બાસ બંદરગાહથી આઠ જૂનનાં રોજ રવાના થયું હતું અને ગુરૂવારનાં રોજ તે પોરબંદર પહોંચ્યું છે. આ ભારતીયોમાંથી મોટે ભાગે રાજ્યનાં વલસાડ જિલ્લાનાં નિવાસી માછીમારોનો સમાવેશ થાય છે. પોર્ટ પર તમામ પ્રવાસીઓને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના સામે જાગૃતિ વિષયક ઈંઈઊ કિટ આપવામાં આવી હતી, જેમાં સાત માસ્ક, સેનિટાઈઝર અને સાહિત્ય સાથેની બેગ આપવામાં આવી હતી. હવે રોજેરોજ નિયત મુદત સુધી તમામની આરોગ્ય તપાસણી અને ટેમ્પરેચર પણ માપવામાં આવશે. જહાજ મારફત ઇરાનથી આવેલા વલસાડ જિલ્લાના માછીમાર રાજેશભાઇ ટંડેલે કહ્યુ કે, કોરોના મહામારીમાં અમે ઇરાનમાં ફસાયા હતા, એવા સમયે ભારત સરકાર અમારા માટે દૂત બનીને આવી છે.