આપણે મંદિરમાં જઈએ છીએ તો સૌ પહેલા બહાર લટકાવેલ ઘંટ વગાડીને અંદર પ્રવેશ કરીએ છીએ ? પણ મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે તેની મોટાભાગના લોકોને જાણ નથી. શુ આપણે ઈશ્વરને જગાડવા ઘંટ વગાડીએ છીએ, પણ ઈશ્વર તો કણકણમાં છે તો પછી એમને જગાડવાની જરૂર શુ. પ્રાચીન સમયથી દેવાલયો, મંદિરોની બહાર ઘંટ લગાડવાની શરૂઆત થઇ હતી. એની પાછળનું કારણ એ છે કે જે જગ્ચા પર ઘંટનો અવાજ નિયમિત રીતે આવે ત્યાં વાતાવરણ સુખમય અને પવિત્ર બને છે. ઘંટનો રણકાર નકારાત્મક કે ખરાબ શક્તિઓને વાતવરણમાંથી મુક્ત કરે છે. ઘંટ વગાડવાથી તેમાંથી એક સુંદર ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ખૂબ મંગળદાયક હોય છે. તેમાંથી પરમાત્માનો પરમ મંત્ર ૐ પ્રગટ થાય છે. જો ભક્ત મંદિરમાં જાય ત્યારે તેના મનમાં કોઈપણ પ્રકારના અશુભ કે ખરાબ વિચારો ચાલતા હોય તે ઘંટના મંગલમય અવાજથી ભંગ થઈને તૂટી જાય છે અને ભક્ત ભગવાનના વિચારોમાં ડૂબી જાય છે.
પુરાણોમાં કહેવાયું છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી માણસનાં સો જન્મોના પાપો નષ્ટ થાય છે. કહેવાય છે કે જયારે સૃષ્ટિનો પ્રાંરભ થયો ત્યારે જે નાદ સંભળાયો હતો તેવો જ નાદ ઘંટ અને ઘડિયાળ બંનેમાંથી નીકળે છે. ઘંટને કાળનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં પણ જ્યારે તમે આરતી કરો ત્યારે ઘંટ નહી તો નાનકડી ઘંટડી અવશ્ય વગાડવી જોઈએ. પૂજા સમયે વગાડવામાં આવતી નાની ઘંટડીઓનાં તાલ અને તંરગોથી વ્યક્તિનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. ઘંટનો અવાજ કર્કશ નહિ પણ કર્ણપ્રિય હોય છે
મદિરોમાં ઘંટ અને ઘડિયાળ લગાડવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ કહી શકાય. કારણ કે, જ્યારે ઘંટ વગાડવામાં આવે છે ત્યારે વાતાવરણમાં એક કંપન ઉત્પન્ન થાય છે જે વાયુમંડળનાં કારણે દૂર સુધી જાય છે. આ કંપનસીમામાં આવતાં જીવાણુ, વિષાણુ તેમજ અનેક સુક્ષ્મોજીવોનો નાશ થાય છે . આજકાલ લોકો ઘરની બહાર ગેલેરીમાં ફેંગશુઈ બેલ લટકાવે છે. જેની માન્યતા મુજબ જ્યારે તે હવાથી લહેરાઈને કંપન કરે છે તો વાતાવરણમાં રહેલ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને તે ઘરમાં પ્રવેશતી નથી. આમ મોહક અને કર્ણપ્રિય ઘંટનો ધ્વનિ આધ્યાત્મક ભાવ તરફ લઈ જાય છે.