Publish Date: Fri, 10 Jul 2015 (13:26 IST)
Updated Date: Fri, 10 Jul 2015 (13:38 IST)
શુક્રવાર દેવી શક્તિનો વાર છે. એવુ કહેવાય છે કે શુક્રવારના દિવસે દેવીઓનું પૂજન કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. એટલુ જ નહી એવુ કહેવાય છે કે દેવીઓનુ પૂજન કરવાથી અદ્દભૂત શક્તિ મળે છે. શુક્રવારે દેવી શક્તિ શ્રદ્ધાળુઓની મનોકામનાને પૂરી કરે છે. આ દિવસે સંતોષી માતાનુ વિશેષ પૂજન કરવામાં આવે છે. એટલુ જ નહી મા ની આરાધાના કરવાથી મહિલાઓના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તો બીજી બાજુ કુંવારી કન્યાઓને મનગમતો પતિ મળે છે. સંતોષી માતાના વ્રત અને પૂજન કરવાથી શ્રદ્ધાળુઓની દરેક ઈચ્છિત કામના પૂર્ણ થાય છે. સંતોષી માતા તેમની આરાધના કરનારાનુ ઘર ધાન્યથી અને સુખોથી ભરી દે છે.
માતાની આરાધના કરવા માટે સાત શુક્રવારના વ્રત પણ વિશેષ ફળદાયી હોય છે. આ દરમિયાન માતાને કંકુ, ચૂંદડી અને સોળ શણગારની સામગ્રી અર્પિત કરવામાં આવે છે. માતાના સાત વ્રત પુર્ણ થતા ઉદ્યાપન કરવામાં આવે છે. ઉદ્યાપનમાં ખીર, પુરી, મીઠા પકવાન પોતાની શક્તિ તેમજ સામર્થ્ય મુજબ બનાવીને સૌભાગ્યવતી સ્ત્રીઓને અને ગરીબોને ખવડાવવામાં આવે છે. માતાને ગોળ અને ચણાનો ભોગ પણ લગાડવામાં આવે છે. જેનાથી માતા પ્રસન્ન થઈને શ્રદ્ધાળુઓના બધા મનોરથ પુર્ણ કરે છે.